| સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૯ નવમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિષે અવગુણને દેખે છે ને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે ગુણને દેખે છે ને ભગવાન ને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે ને દુ:ખ નથી લગાડતો તે તો દિવસે દિવસે સત્સંગને વિષે મોટપને પામે છે. (૧) અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે ને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિષે ગુણ પરઠે છે અને ભગવાનને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે તે વાતને માને કરીને અવળી લે છે ને વાતના કરનારાનો અવગુણ લે છે તે તો દિવસે દિવસે ઘટતો જાય છે ને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઇ જાય છે, માટે પોતાને વિષે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને શૂરવીર થઇને ભગવાન ને ભગવાનના સંતને વિષે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે ને સત્સંગમાં મોટપને પામે છે. (૨) ઇતિ વચનામૃત || ૬ || |
No comments:
Post a Comment